બુધવાર, 28 એપ્રિલ, 2010

એક રમૂજી ટુચકો

એક ગુજરાતી મહાશય મુંબઇની ઉડુપી ભોજનાલયમાં સવાર સવારમાં પધાર્યા અને તેમની અને હજુરિયા(વેઇટર) વચ્ચે નીચે પ્રમાણે સંવાદ થયો.

ગુ.મ: કહ્યું કે મારા માટે એક ગરમા ગરમ મસાલા ઢોસા લઇ આવ.
હ : હા સાહેબ, જોડે ચા / કોફી?
ગુ.મ: ના.
હ : સારૂ, બસ ૨ મિનિટ ( મેગીની જેમ :-) )

પંદર મિનિટ ના ગાળા પછી હજુરિયાએ મસાલ ઢોસા પીરસ્યો.
ગુ.મ.એ ખાલી મસાલો ખાધો અને ઢોસાને એમને એમ ને છોડી દીધો. હજુરિયાને એ જોઇ ને બહુ નવાઇ લાગી, એણે ભોજનાલયના સંચાલક (મેનેજર) ને જઇને ક્યું કે ગ્રાહકે માત્ર મસાલો ખાધો અને ઢોસો છોડી દીધો. સંચાલકને પણ જરા આશ્ચર્ય થયું અને એણે જઇને ગ્રાહકને પૂછ્યુંકે
સાહેબ ઢોસો બરાબર તો છેન ?
ગુ.મ. : હા, સરસ છે.
સંચાલક : પણ, સાહેબ તમે માત્ર મસાલોજ ખાધો ઢોસો તો જરાપણ લીધો જ નહી?
ગુ.મ : ઓહ... એતો મને મારા દાક્તરે બહારનું ખાવાની થોડા દિવસ ના પાડી છે.

:-) :-) ( ભયંકર અટ્ટહાસ્ય )

શનિવાર, 10 એપ્રિલ, 2010

પ્ર.ચુ. વૈદ્યને શ્રદ્ધાંજલિ

ગુજરાતનાં જાણીતા ગણિતશાસ્ત્રી પ્ર. ચુ. વૈદ્ય નું ૧૨ માર્ચ ૨૦૧૦ ના રોજ અમદાવાદમાં નિધન થયું.

હું પ્ર.ચુ. વૈદ્યને કઇ રીતે ઓળખું ?

મારી પ્રથમ ઓળખાણ તો કુમાર સામાયિકનાં "પસ્તીનાં પાનાં"માં. નાનપણથી વાર્તાની ચોપડીઓ અને સામાયિકો વાંચવાનીટેવ. કુમારમાં "પસ્તીનાં પાનાં" સિવાસ બીજા લેખોમાં કાંઇ વધારે ચાંચ ડૂબતી નહીં, પરંતું પસ્તીનાં પાનાં વાંચીને કાયમ બહું આનંદ આવતો. સાચુ કહું તો મારો આ બ્લોગ ચાલુ કરવામાં ઊંડે ઊંડે પસ્તીના પાનાં જ પ્રેરણા રૂપ બન્યા છે અને જો નસીબ હશે તો હું આમાનાં કોઇ લેખને કુમારમાં છપાવવા પ્રયત્ન કરીશ.

મને એમનો એક બંગાળનાં અનુભવનો લેખ હજી યાદ છે. એ બંગાળમાં(લગભગ ૭૦ના દાયકામાં) ગણિતનાં કોઇ કામ અર્થે ગયા હતા અને દુકાનમાં વાસણ ધોવાનો સાબુ ખરીદવા ગયા, દુકાનદાર નેં કહ્યું કે જે સાબુ સારો હોય તે આપ. દુકાન દારે કહ્યું કે "ભીમ" પાવડર બહુ સારો છે અને સૌથી વધુ વેચાય છે. પાંડવના નામનો પાવડર? એમણે ફરીથી દુકાનદારને પૂછ્યું કે "ભીમ" પાવડર ?? દુકાનદારને ઘણી નવાઇ લાગીકે તમે નામ નથી સાંભળ્યું ભીમ પાવડરનું ભી.આઇ.એમ. ... ભીમ પાવડર. પછી પ્ર.ચુ.વૈદ્યને ખ્યાલ આવ્યોકે બંગાળીઓ "વ" ને "ભ" ઉચ્ચારે અને માટે વિમ પાવડરનું "ભીમ" પાવડર થઇ ગયું.

પ્ર.ચુ.વૈદ્ય સાથે મારી પહેલી અને (કમનસીબે છેલ્લી) મુલાકાત ૧૦ ધોરણ પછી આયોજીત એક ગણિત શિબિરમાં થઇ. આજે તો મોટાભાગનાને ગણિત શિબિર સાંભળીને કાંતો નવાઇ લાગશે અથવા હસવું આવશે. ગુજરાત ગણિત મંડળ ૮-૧૨ ધોરણ સુધી રામાનુજન ગણિત સ્પર્ધા યોજે છે. અને એમાં રાજ્યનાં ટોચનાં વિદ્યાર્થીઓ માટે ગણિત નો શિબિર યોજે છે.
મારા સદભાગ્યે હું એમાં પસંદગી પામેલો. અને એ અઠવાડિયું મારા જીવનનું એકદમ યાદગાર અઠવાડિયું રહ્યું.
૭ દિવસ - ૧૫ ગણિતનાં વિદ્યાર્થીઓ અને ૨૪ દાખલા. જીવનમાં કોઇ ચિંતા નહીં, માત્ર ગણિતનાં અત્યંત રસિક કૂટપ્રશ્નો. હું જ્યારે આ શિબિરમાં ગયો હતો ત્યારે મને ખબર નહોતી કે કોણ, કોણ આવશે ત્યાં શીખવાડવા ? પરંતુ ઉદ્ઘાટન સમારોહમાં પ્ર.ચુ.વૈદ્યનું નામ જાહેર થહું ત્યારે મને એકદમ આનંદ થયો. મેં બડાશ મારવા મારી બાજુમાં બેઠેલા એક બીજા ગણિતનાં રસિયાને પૂછ્યું કે પ્ર.ચુ વૈદ્યને ઓળખે છે ? એણે એકદમ વિશ્વાસપૂર્વક કહ્યું કે હા, હું ઓળખું છું. મેં કહ્યુંકે કઇ રીતે ? (મને ખબર હતી કે એ કુમાર સામાયિક નથી વાંચતો), અને મને જવાબ મળ્યો કે પ્ર.ચુ.વૈદ્ય મારા નાના થાય :-)

ત્યારે એમની ઉમ્મર ૮૧ વર્ષની હતી. એકદમ તંદુરસ્ત શરીર અને એનાથી પણ તંદુરસ્ત મન. ૮૧ વર્ષની ઉમ્મરે પણ એમનો ગણિતનો ઉત્સાહ જોઇને હું ઘણો પ્રભાવિત થયેલો.

એ ગણિતના શિબરમાં અમારે કોઇ સાબિતીઓ આપવાની હતી અને મેં ૩ થી માંડીને ૨૯ સુધીની ભાગાકારની ચાવીઓ આપેલી. ( જેની યાદશક્તિ કાચી હોત તેના માટે ... ૩ ની ચાવી : જો કોઇ રકમનાં આંકડાનો સરવાળો ૩ વડે વિભાજ્ય હોય તો તે રકમ પણ ૩ વડે વિભાજ્ય હોય). એમણે શાંતિથી આખી સાબિતી જોઇ અને કહ્યું કે પ્રયત્ન સારો છે પરંતુ મને તો ૪૨ સુધીના ઘડિયા આવડે છે માટે મારે માટે આ બધી સાબિતીઓ બહુ કામની નથી :-)

એમણે એ પણ કહ્યું કે આજકાલની ગણિત શીખવવાની પદ્ધતિમાં શું ખામી છે. એમણે કહ્યુંકે શિક્ષક સામાન્ય રીતે કોઇ નવી રીતનો દાખલો કરી બતાવે અને પછી કહે વિદ્યાર્થીઓને કહે કે હવે નીચેના દાખલા પાટિયા પર લખેલ રીત પ્રમાણે ગણી જાવ. આ પદ્ધતિમાં વિદ્યાર્થીને વિચારવાની તક તો મળતીજ નથી. ૧૦ અલગ પ્રકારની રીતો હોય તો વિદ્યાર્થી કાયમ બધી રીતો યાદ રાખીને કોઇ પણ નવો દાખલો ૧૦માંથી એક રીતે ઉકેલવા પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીને નવી રીત જાતે વિચારવા પ્રયત્ન કરવો જોઇએ જેથી તેનો ખરેખર માનસિક વિકાસ થાય અને શિક્ષકનું કામ તો માત્ર આંગળી ચીંધવાનું અને પ્રોત્સાહન આપવાનું હોવું જોઇએ.

મને ગણિત ઉપરાંત પણ ખાદીધારી ગણિતશાસ્ત્રી પાસે ધણું બધું શીખવા મળ્યું. ગુજરાતીમાં પોતાનું નામ લખતી વખતે અંગ્રેજી ન વાપરનારા એમના જેવા વ્યક્તિઓ વિરલ હોય છે. ( નામ = પ્ર.ચું વૈદ્ય નહિ કે પી.સી.વૈદ્ય ).

મેં ગણિતનો અભ્યાસ છોડીને ઇજનેરી અભ્યાસ કર્યો પરંતુ, છેલ્લા સાડા ચાર -પાંચ વર્ષથી નોકરીમાં જોડાયા પછી જ્યારે પણ રામાનુજન ગણિત સ્પર્ધા જેવા દાખલા મળે તો ઉકેલવા પ્રયત્ન કરૂં છું. અને મારા સદભાગ્યે મારા ૨-૩ સહકર્મચારીઓને પણ આવા દાખલા ઉકેલવાનો શોખ છે, માટે મારો ગણિતનો પ્રેમ હજી ચાલુ રહ્યો છે.

છાપામાં જ્યારે વાંચ્યું કે પ્ર.ચુ.વૈદ્ય હવે નથી ત્યારે મને ઘણો અફસોસ થયો કે હવે ભાવિ પેઢીને આવા શિક્ષક મળશે નહિ.પ્ર.ચુ.વૈદ્ય એમના સાપેક્ષતાવાદ ના યોગદાન માટે વિશ્વવિખ્યાત છે, પરંતુ મારા જેવા અનેક ગણિત રસિયા તો એમને ગુજરાત ગણિત મંડળ અને સુગણિત દ્વારાજ ઓળખે છે. એમને અનેક રીતે ગણિતને ગુજરાતમાં પ્રચલિત બનાવ્યું છે.

એક ગણિતના વિદ્યાર્થી તરફથી એક ઉમદા ગણિત શિક્ષકને ભાવભીની શ્રંદ્ધાંજલિ. સાચી શ્રદ્ધાંજલિ તો ત્યારે કહેવાશે જ્યારે હું સુગણિતમ્ મંગાવીશ અને નિયમિત રીતે એમાનાં દાખલા ઉકેલીશ.

નોંધ: પ્ર.ચુ.વૈધ પર વધુ માહિતી માટે જુઓ/વાચો.
૧. http://en.wikipedia.org/wiki/P._C._Vaidya
2. http://video.google.com/videoplay?docid=4382862622658562253#

શુક્રવાર, 9 એપ્રિલ, 2010

જાપાન પ્રવાસ ભાગ -૨



જાપાન માં હું કામ માટે ૩-૪ દિવસ હતો. મને મારા કાર્યાલયનાં ઉપરીએ કહ્યું હતું કે અહીંથી સોમવારે રાત્રે વિમાન પકડજે, ત્યાં બુધ-ગુરૂ-શુક્ર ત્રણ દિવસમાં બધું કામ પતાવીને શનિવારે પાછો આવજે. મેં ઉપરીનેં કહ્યું કે હું આટલો દૂર જવું છું તો પછી હું ત્યા ૪-૫ દિવસ તો ફરીશજ અને હું મારા જ ખર્ચે રહીશ. અંતે રકઝક પછી એમણે કહ્યું કે શનિ-રવિ ફરજે અને સોમવારે પાછો આવજે.

મેં કામમાંથી ૨ દિવસની રજા (રજા એટલેકે શનિ -રવિ ની રજા ) લઇને મારા પોતાન ખર્ચે ટોકિયોમાં રહીને ફરવાનો નિશ્ચય કર્યો.

ઓફિસ તરફથી તો હું મોંઘામાંની ફાઇવ સ્ટાર હોટેલ ( હિલટન ટોકિયોમાં) ઊતરેલો, પરંતુ પોતાન ખર્ચે રહેવાનું થયું તો મેં એક સસ્તી ધર્મશાળાકે છાત્રાલય (Dormitory) શોધી નાખ્યું. સસ્તી એટલે એવી પણ કાંઇ સસ્તી નહોતી. ભારતીયોને તો બધું પરેદશમાં મોંઘું જ લાગે. એક મોટો ઓરડો અને ૫૬ જણ. સ્ત્રી /પુરુષ બન્ને માટે એક જ ઓરડો હતો :-).

શનિવારે સવારે મેં મારો બધો સામાન હિલ્ટનમાંજ રાખી દીધો અને હું ત્યાંના પર્યટન વિભાગમાં જઇને પૂછવા લાગ્યો કે એ લોકો એકાદ દિવસ માટે કોઇ પ્રવાસ ગોઠવી શકે કે નહી. હું ત્યાં થોડી પૂછપરછ માં અટવાયેલો હતો ત્યારે કોઇ ભારતીય દેખાતા ભાઇ એ મને અંગ્રેજીમાં પૂછ્યું કે શું હું ભારતથી છું ? અને મારો હકારાત્મક જવાબ સાંભળીને એમણે મને કહ્યું કે હોટેલ તરફથી ગોઠવેલો પ્રવાસ ઘણો મોંઘો હશે અને એમણે મને કહ્યું કે જો મને વાંધો ન હોય તો આપણે જોડે ફરીએ. મને આમે એકલા ફરવાનો કંટાળો આવે, એટલે મેં ભારતીય વડીલને કહ્યું કે ચાલો જોડેજ ફરીએ (એમની ઉમ્મર ૪૦-૪૫ ની આજુ બાજુ હશે)

થોડો વખત એમની જોડે વાત કર્યા એમની બોલવાની લઢણ પછી મને લાગ્યું કે એ કદાચ ગુજરાતી હશે, અને મારો અંદાજ સાચો પડ્યો. એ એકદમ પાકા ગુજરાતી નીકળ્યા, ધંધુકા પાસેના કોઇ નાના ગામ માં ઉછરેલા, અને ૧૯૮૦ ના દાયકા થી અમેરિકામાં વસવાટ કરે છે. અને એ પણ હું જે અમેરિકન પેઢીનાં કાર્યાલયમાં કામ કરૂં છું, એની અમેરિકાની શાખામાં જ કામ કરે છે. પછી તો અમે ઘણાં વિષયો પર વિગતવાર ચર્ચા કરી.. ગુજરાતી સાહિત્ય થી માંડી અમેરિકાની શિક્ષણ પદ્ધતિ સુધી.

મેં નાનપણમાં ક્યારે ય વિચાર્યું નહોતું કે ક્યારે ય હું જાપાનમાં રખડીશ. અને એ તો મેં સ્વપ્નમાં પણ કલ્પ્યું નહોતું કે હું જાપાનાની મેટ્રોમાં કલાપી ના કેકારવ અને પાટણની પ્રભુતા પર કોઇ અજાણ્યાં વ્યકિત જોડે ચર્ચા કરીશ.

એ ૨ દિવસ જાપાનમાં રખડતા રખડતા મને જાપાન અને ભારત વચ્ચેની કેટલીક સમાનતાઓ અને ઘણાં તફાવતો નજરે પડ્યા. બન્ને દેશ, એકદમ ગીચ વસ્તી વાળા દેશ છે. બન્ને દેશમાં, વડીલો અને મહેમાનો ને બહુ આદરભાવ આપવામાં આવે છે. બન્ને દેશ, ૧૯૪૭ ની આજુબાજુ એકદમ પાયમાલ થઇ ગયા હતા. ( ભારત અંગ્રજોની ગુલામી માં અને જાપાન બીજા વિશ્વયુદ્ધમાં ). બન્ને દેશની રેલ્વે વ્યવસ્થામાં પણ અમુક સમાનતા મને દેખાઇ (વિશ્વાસ ન આવે એવી બાબત છે માટે જુઓ નીચેની ૨-૩ તસવીરો).




પરંતુ અમુક ભિન્નતાઓ તો આંખે ઊડીને વળગી, એકે તો ત્યાંનો શાકાહરી ખોરાક :-)અને બીજી ત્યાંની ચોખ્ખાઇ. ત્યાંની સસ્તામાં ની ધર્મશાળા જયાં હું રહેલો ત્યાં પણ ભયંકર ચોખ્યાઇ હતી, ભારતમાં આવી ચોખ્ખાઇ ક્યારે આવશે ?
બીજો તફાવત તો .. બન્ને દેશોએ એ ૧૯૪૫/૪૭થી પ્રગતિની દિશામાં પગલાં ભરવાની શરૂઆત કરી અને આજે ક્યાં છે જાપાન અને ક્યાં છે ભારત ?. એ ખાબોચિયા જેવા દેશની અર્થવ્યવસ્થા દુનિયામાં બીજા ક્રમે છે અને ભારતની અર્થવ્યવસ્થાને તો ક્યાં ય મૂકી દે એવી છે .
જાપાનની અદ્ભૂત પ્રગતિનું શું રહસ્ય? હું કાઇ અર્થશાસ્ત્રી નથી, અને મેં કાઇ એના વિશે ખાસ સંશોધન પણ કર્યું નથી, મારો અભિપ્રાય મારા સીમિત પુસ્તકિયા જ્ઞાન અને મારા અઠવાડિયાના પ્રવાસ અનુભવ પરથી બંધાયેલો છે. જાપાને મૂડીવાદી વ્યવસ્થા અપનાવી જ્યારે ભારતે સમાજવાદી વ્યવસ્યા અપનાવી, જાપાને મુક્ત બજારને પ્રોત્સાહન આપ્યું જ્યારે ભારતે બજાર પર ભંયકર નિયંત્રણો લાદયાં અને "લાઇલન્સ રાજ " આણ્યું. આજે ૬૦ વર્ષ પછી આપણે ઘણાં વિશ્વાસ થી કહી શકીએ છીએ કે મૂડીવાદી વ્યવસ્થા નહીં અપનાવવાની ભારતની મોટી ભૂલ હતી, પરંતુ ૧૯૪૦ નાં દાયકામાં બન્ને વ્યવસ્થાનાં પોતાનાં આગવા ફાયદા દેખાતાં હતાં. અને કોઇને ખબર નહોતી કે મૂડીવાદ અને નહિવત્ નિંયત્રણો વાળા મુક્ત બજરો થી ભારત વધુ પ્રગતિ કરશે.(૨૦૦૮ ની વૈશ્વિક મંદી પછી મૂડીવાદ અને મુક્ત બજાર પહેલા જેટલ આર્કષક નથી દેખાત :-) )કેટલાક લોકો કહેશેકે જાપાનમાં એક જ ભાષા હતી અને આપણી પાસે દેશના અંદોરોઅંદરનાં વ્યહવાર માટે પણ આપણે અંગ્રેજીનો સહારો લેવો પડતો પરંતુ મારો અલગ અભિપ્રાય છે.

જાપાન અને ભારતનાં લોકો વચ્ચે જે મોટો ફરક હોય તો તે પ્રામાણિકતા અને કામ પ્રત્યેની નિષ્ઠાનો. જાપાનમાં જો તમે રસ્તાની વચ્ચોવચ્ચ તમારૂં પાકીટ મૂકો અને તો પણ તમને બીજે દિવસે ત્યાં જ મળશે, જો કોઇ રાહદારીની નજર તમારા પાકીટ પર પડી હોય તો તે માત્ર ઉપાડીને બાજુમાં સલામત જગ્યાએ મૂકી દેશે. જ્યારે ભારતમાં તમારૂં પાકીટ, તમારા ખીસામાં પણ સલામત નથી. જાપાની લોકો કામ ભયંકર નિષ્ઠાથી કરશે. કામચોરી જેવો શબ્દ એમના શબ્દકોશમાં જડશેજ નહીં અને કાર્યાલયમાં જઇને ચરી ખાવું એવો વિચાર પણ લોકોને સ્વપ્નમાં આવે નહીં. જો તમે એક પણ ભારતીય સરકારી વિભાગની મુલાકાત લીધી હોય તો મારે અહીં કશું કહેવાની જરૂર નથી.જો ભારતીય સરકારી કર્મચારી તમને અડધા કલાકનાં કામ માટે ૪ ધક્કા ન ખવડાવે તો એને ખાવાનું ન પચે (કદાચ ભારતમાં સરકાર કાર્યાલયની મુલાકાત પર અલગ લેખ લખીશ). આજ કાલ નાં મારા જેવા ભારતીય નવજુવાનિયાં કાર્યાલયમાં ૧૦-૧૨ કલાક કાઢે તો છે પણ નિષ્ઠાપૂર્વક કામ તો માત્ર ૪-પ કલાક પણ ભાગ્યેજ કરતા હશે. (હું પણ કદાચ આમાંથી બાકાત નથી).જાપાનનાં લોકો સખત મહેનતથી આગળ આવ્યાછે અને મારો ત્યાંનો અનુભવ મને હંમેશા મારી કાર્ય ક્ષમતા વધારવા પ્રોત્સાહિત કરે એવી પ્રભુ ને હું પ્રાર્થના સાથે હું મારો આ લેખ પૂરો કરૂં છું.

નોંધ: એવું પણ નથીકે હું એમ માનું છુંકે જાપાનની અર્થવ્યવસ્થા અને લોકોમાં કોઇ ખામી નથી, અને બધા ભારતીયો કામચોર છે પણ માત્ર આપણે જાપાનનાં લોકો પાસે ઘણું શીખી શકીએ એમ છીએ.

રવિવાર, 4 એપ્રિલ, 2010

એક અનોખું કાવ્ય અને એનો પ્રતિભાવ

ઇન્ટરનેટ પર રઝળતા રઝળતા નજરે પડેલી એક કવિતા હું અહીંયા રજુ કરી રહ્યો છું.
કવિ કોણ છે એની તો ખબર નથી.

પરદેશ નિવાસી ગુજરાતીની મનોવેદના

એવુંય નથી કે વતન માટે મને પ્રીત નથી,
હું એય જાણુ છું કે અમેરીકા રહેવામા મારૂં હિત નથી.
ઇચ્છા થાય છે કે અમેરીકાનાં અનુભવો લખું,
પણ તમને શુ લખું ? અહીયા સંસ્કાર કે સંસ્કૃતિ નથી.
મને ઘણો થાય છે વતન છોડ્યાનો અફ્સોસ,
હવે, હિમાલય છોડીને સોનાનાં ઢગલા મેળવવામાં કાંઇ જીત નથી.
અમેરીકન "રૅપ" સોંગ સાંભળીને કાન થાય છે એઠાં
અહીંયા નરસિંહ મીરાંનાં પ્રભાતિયા કે ભજન જેવું કર્ણપ્રિય સંગીત નથી.
સંતાનો નાં ઉછેરીકરણનોય અહીંયા હોય છે હિસાબ કિતાબ,
અહીંયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી.
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા,
સ્ત્રીના બાહ્ય સૌંદર્ય ખરૂં પણ દિલમાં ચોખ્ખાઇ નથી.
પ્રેમ , વિશ્વાસ અને નિસ્વાર્થ આધારિત સંબંધો નથી,
"ઇન્ડીયન કલ્ચર" જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી.
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ,
મનને મારીને જીવ્યાકરવું એ સારી રીત નથી.


હવે વાંચો એનો જડબેસલાક જવાબ ,

એક ભારતનિવાસી ગુજારાતીનો ઉપદેશ

જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા છો જાતે,હવે રોદડાં રડવા ઠીક નથી.
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
સરસ્વતી મંદિરોમાં, જયાં વિદ્યાર્થીનીઓ સલામત નથી,
ત્યાં રોજે સંસ્કૃતિનાં બણગાં ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બીભત્સ નૃત્યોને રોજ ટી.વી. પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશનોને વખોડવી ઠીક નથી.
જયાં વ્રુદ્ધાશ્રમ નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતીય માંબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને “ભાઇ”ઓ નો.
દેશ છોડી આવ્યા પછી ,હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માંને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી, મગર આ ફોગટના આંસુ ઠીક નથી.